Birth Certificate: ભારતમાં આગામી દિવસોમાં કેટલાય મોટા સરકારી કામો અને પ્રજાના કામોમાં નિયમિતતા લાવવા માટે નિયમોમાં ફેરફાર થવાના છે. આ કડીમાં સરકાર કેટલાક નિયમોને હળવા કરવા માટે પ્રયાસ કરી રહી છે, હાલમાં સુત્રો પાસેથી માહિતી છે કે, સરકાર આગામી 1લી ઓક્ટોબરથી આધાર કાર્ડથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ અને બર્થ સર્ટિફિકેટ અંગેના કેટલાય નિયમોને બદલી રહી છે.
સરકાર જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023ને હવે આગામી 1લી ઓક્ટોબર, 2023થી દેશભરમાં અમલમાં આવવા જઈ રહી છે. ANIના સમાચાર મુજબ હવે બર્થ સર્ટિફિકેટનું મહત્વ ઘણું વધી જશે. તમે આ એકમાત્ર દસ્તાવેજનો ઉપયોગ દેશમાં શાળા, કૉલેજમાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાયસન્સની અરજી, મતદાર યાદીમાં નામ ઉમેરવા, આધાર નોંધણી, લગ્ન નોંધણી અથવા સરકારી નોકરીની અરજી જેવા કેટલાય મહત્વાના અને અનેક પ્રકારના હેતુઓ માટે કરી શકશો.
1 ઓક્ટોબર, 2023થી લાગુ થઇ જશે આ નિમયો
ખાસ વાત છે કે, જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 આગામી 1લી ઓક્ટોબરથી અમલમાં આવવા જઈ રહ્યો છે. આ કાયદાના અમલ પછી આધાર કાર્ડથી શરૂ કરીને તમામ જરૂરી દસ્તાવેજો બનાવવામાં જન્મ પ્રમાણપત્રની ભૂમિકા વધવા જઈ રહી છે. તમે આધારથી લઈને ડ્રાઈવિંગ લાયસન્સ સુધીના તમામ જરૂરી દસ્તાવેજો કોઈપણ મુશ્કેલી વિના માત્ર જન્મ પ્રમાણપત્ર દ્વારા મેળવી શકો છો. આ બિલ 1લી ઓગસ્ટે લોકસભામાં અને 7 ઓગસ્ટ 2023એ રાજ્યસભામાં પસાર થયું હતું. આ પછી હવે કેન્દ્ર સરકારે આ અંગે નૉટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે કે નવા નિયમો 1લી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
નિયમ બદલાશે તો શું થશે ફાયદા
જન્મ અને મૃત્યુ નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સ્તરે જન્મ અને મૃત્યુનો ડેટાબેઝ તૈયાર કરવાનો છે. આ નિયમ લાગુ થયા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારો આસાનીથી જન્મ અને મૃત્યુનો ડેટા એકબીજાની વચ્ચે શેર કરી શકશે.
આ માટે રાજ્યો દ્વારા ચીફ રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ડેટા જાળવવાનું કામ મુખ્ય રજીસ્ટ્રાર કરશે. બ્લૉક કક્ષાએ આ કામગીરી રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. આનાથી દેશભરમાં જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે અને રાશન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ જેવા ઘણા ડેટા બેઝ તૈયાર કરવાનું સરળ બનશે.